અમદાવાદ, ગુજરાત | ૧૨ જૂન ૨૦૨૬ | દ્વારકા સ્થિત શ્રી શારદામઠના પીઠાધીશ્વર તથા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન દર્શન અને આશીર્વાદનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ખોડીયાર ગ્રુપના શ્રી જિગ્નેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પૂજ્ય સ્વામીજીના દર્શન તથા આશીર્વાદનો લાભ લીધો હતો.
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ એ જણાવ્યું હતું કે ધર્મનો પ્રચાર અને સનાતન સંસ્કૃતિની જાગૃતિ એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. હિંદુ ધર્મની સાચી રક્ષા તેના નિયમો અને મૂલ્યોનું પાલન કરવામાં જ છે. શ્રી જિગ્નેશભાઈ પટેલના આમંત્રણથી અમદાવાદમાં યોજાયેલી ધર્મસભામાં સનાતન ધર્મના પાલન અને હિંદુ સમાજની જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજની યુવા પેઢીમાં ધર્મ પ્રત્યેનો રસ વધી રહ્યો છે, પરંતુ માત્ર સંખ્યામાં નહીં, ગુણવત્તાયુક્ત ધાર્મિક સમજણ પણ જરૂરી છે. તીર્થસ્થળોની મુલાકાત માત્ર પ્રવાસ માટે નહીં, પરંતુ ભક્તિ, આરાધના અને આધ્યાત્મિક શક્તિ મેળવવાના ભાવથી કરવી જોઈએ. જેમ દરેક કાર્યમાં નિયમોનું પાલન કરવાથી સફળતા મળે છે, તેમ ધર્મના નિયમોનું પાલન કરવાથી આધ્યાત્મિક સુખ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
ખોડિયાર ગ્રુપના ગ્રુપ ડાયરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન હિન્દુ ધર્મના મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાનો અને નવી પેઢીમાં ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. શંકરાચાર્યજી જેવા મહાન સંતોના માર્ગદર્શનથી લોકો પોતાના ધર્મ અને સંસ્કૃતિ વિશે વધુ જાણે અને પ્રેરિત થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે સનાતન ધર્મ વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે, જેમાં જીવનના દરેક ક્ષેત્ર માટે માર્ગદર્શન અને ઉકેલો સમાયેલા છે. તેથી સમાજના દરેક વર્ગ, ખાસ કરીને યુવાનો અને બાળકો સુધી ધર્મની સાચી સમજ પહોંચે તે સમયની જરૂરિયાત છે.
== સમાપ્ત ==

