પ્રવચનથી આત્મા નથી મળતો, પણ રામકથાથી આત્મા મળે છે.

0
16

કથા પ્રવચન નથી,વચન છે.

સત્ત હોય ત્યાં સ્પર્ધા કેવી!સ્પર્ધા સત્તામાં હોય છે.

જે શુષ્ક ન હોય એ શુક છે.

“હું ‘પક્ષી’ છું,વિપક્ષી નથી.”

મન,બુદ્ધિ,ચિતથી કથા સાંભળીએ એ તપ છે.

“સામાન્ય લોકોના મનોરંજન માટે સાધુએ પોતાનું સ્તર છોડીને નીચે ન આવવું જોઈએ.”

 

શુક્રતાલની દિવ્ય અને સેવ્ય ભૂમિ પર ચાલી રહેલી રામકથા શનિવારે આઠમા દિવસમાં પ્રવેશી ત્યારે ગઈકાલના ભાગવતનાં એક અદભુત શ્લોકનો શબ્દ સત્યં પરમ ધીમહિ:-ને વિસ્તૃત રીતે સમજાવતા બાપુએ જણાવ્યું કે દરેક વસ્તુ,દરેક ઘટનામાં યથાયોગ્ય વિનિયોગ સાધક માટે જરૂરી છે.વિષયી માટે જરૂરી નથી કારણ કે વિષયીની વાત યથાયોગ્ય માનવામાં આવતી નથી અને સિદ્ધ લોકો વિનિયોગથી ઉપર ઉઠી ગયા છે.યથાયોગ્ય વિનિયોગનો અર્થ છે દેશ,કાળ,પ્રસંગ અને પાત્ર.

આ વિનિયોગને વધારે ઊંડાણપૂર્વક સમજાવતા કહ્યું કે જેમ ગંગાનાં તટ ઉપર ભાગવતનો વિનિયોગ થયો છે તો ત્યાં દેશ એ ગંગા તટ છે.કાળ સાત દિવસ છે, પાત્ર પરીક્ષિત છે અને પ્રસંગ ભાગવત ધર્મ છે.આ ચારેયનો યથાયોગ્ય વિનિયોગ થયો છે.

રામકથામાં દેશ છે:કૈલાશ.જેના શિખર પરથી મહાદેવ કથા કહે છે.કાળ છે સુસમય-અવસર જાણીને એટલે કે એક પળ છે.પાત્ર પાર્વતી છે,પ્રસંગ રામચરિત માનસ છે.

હજી એક પીઠ,પ્રયાગની પીઠ.જેમાં કાળ છે માઘ મકર ગત-માઘ સ્નાનનો દિવસ.પાત્ર ભરદ્વાજ છે અને વિષય-પ્રસંગ રામતત્વ વિશેનું છે.

જીવનમાં કર્મયોગનાં વિનયોગનું પણ સૂત્ર છે. પતંજલિ-જેને ઓશો આંતર જગતના વૈજ્ઞાનિક માને છે-એણે કર્મયોગમાં વિનિયોગની કળા બતાવી છે.એ કહે છે તપ:સ્વાધ્યાય,ઈશ્વર પ્રણિધાનામી કર્મયોગ. આટલું નાનકડું સૂત્ર છે.જ્યાં પહેલું છે:તપ.અહીં દરેક શ્રોતા અને વક્તા તપ કરે છે.

પ્રવચનથી આત્મા નથી મળતી,પણ મારો વિનય છે કે રામકથાથી આત્મા મળે છે.

વચન,પ્રવચન,એકવચન,દ્વિવચન,બહુવચન-અહીં કથામાં સંવાદ એટલે કે દ્વિવચન છે.વ્યક્તિ ખુદ બોલે એ એક વચન(એકોક્તિ)છે અને શાસ્ત્રોમાં મહિમા વચનનો છે.કથા પ્રવચન નથી,વચન છે.

મન,બુદ્ધિ,ચિતથી કથા સાંભળીએ એ તપ છે.

પછી કહ્યું:સ્વાધ્યાય-માનસની ચોપાઈ,ભાગવતનું સૂત્ર,ઉપનિષદનો શ્લોક કે ગીતાનો શ્લોક-એ ગાવું કે એને જોવો એ સ્વાધ્યાય છે.ઈશ્વરનાં નામ કે મંત્રનો નિરંતર જપ કરવો એ ઈશ્વર પ્રણિધાનામી છે. સંગીતમાં પણ ચાર વસ્તુનો વિનિયોગ છે:તાલ,લય, સુર અને સ્વર.

બાપુએ એ પણ કહ્યું કે સામાન્ય લોકોના મનોરંજન માટે સાધુએ પોતાનું સ્તર છોડીને નીચે ન આવવું જોઈએ.

ક્રિકેટમાં પણ બોલર,બેટ્સમેન,વિકેટ કીપરનો યથાયોગ્ય વિનિયોગ છે.

મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર આ ચારેયનાં સાચા વિનિયોગથી અંતઃકરણમાં પરમાત્મા પ્રગટ થઇ જાય.

મારા શ્રોતાઓ ગર્ભસ્થ,વર્ગસ્થ છે અને સ્વર્ગસ્થ પણ છે.આપણને લેણદેણ આવડે છે,પણ વિનિમય વિનયોગ આવડતો નથી.

જો સાચો વિનિમય કે વિનિયોગ થઈ જાય તો ચાર વસ્તુ મળશે:એક-સ્પર્ધા ટળી જશે અને શ્રદ્ધા પ્રગટ થશે.બીજું-દાહ અને ઈર્ષા મટી જશે.ત્રીજું- તીરસ્કારનો ભાવ મટી જશે અને ચોથું-અહંકાર છૂટી જશે.

સત્ત હોય ત્યાં સ્પર્ધા કેવી!સ્પર્ધા સત્તામાં હોય છે.

જે શુષ્ક ન હોય એ શુક છે,જે હંમેશા હર્યો-ભર્યો છે બાપુએ કહ્યું કે હું ‘પક્ષી’ છું,વિપક્ષી નથી.એટલે કે કોઈથી મારો વિરોધ નથી.

અરણ્યકાંડની કથામાં અત્રિ અનસુયાની સ્તુતિ પછી કુંભજના માર્ગદર્શન પર પંચવટીમાં નિવાસ વખતે લક્ષ્મણ રામને પાંચ પ્રશ્ન પૂછે છે.માયા,જ્ઞાન,વૈરાગ્ય, જીવ,ઈશ્વરની ખૂબ નાનામાં નાની પણ સટીક વ્યાખ્યાઓ બતાવીને કાગભુશુંડીના ન્યાયથી કિષ્કિંધાકાંડ,સુંદરકાંડમાં વિભીષણ,સુગ્રિવ,વાલી અને હનુમાન આદિના પ્રસંગોનું વર્ણન કરીને જ્યારે સીતા હરણ થાય છે ત્યારે એક ટુકડી દક્ષિણમાં જાય છે.હનુમાનજી સીતા ખોજ માટે જાય છે,સમાચાર પ્રાપ્ત કરીને પાછા આવે છે પછી રામ લંકાના તટ ઉપર સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરે છે.

રવિવાર આ રામકથાનો પૂર્ણાહુતિ દિવસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here