અમદાવાદ, ગુજરાત | ૧૫મી જુલાઈ ૨૦૨૬ | પ્રખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુએ ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના અવસરે દેશ-વિદેશના તમામ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સનાતન સંસ્કૃતિ અને આસ્થાનો એક મહાન પર્વ છે, જે શતાબ્દીઓથી શ્રદ્ધા, ભક્તિ અને સાત્વિક ભાવ સાથે ઉજવાતો આવ્યો છે.
મોરારી બાપુએ જણાવ્યું કે ઓડિશાના જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને માતા સુભદ્રાજીની વિશ્વવિખ્યાત રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લઈ ધર્મલાભ મેળવે છે. તે જ રીતે ગુજરાતના અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરથી પણ દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે, જે સમાજમાં ભાઈચારો, સમન્વય, એકતા અને સનાતન ધર્મનો સંદેશ જન-જન સુધી પહોંચાડે છે.
બાપુએ અમદાવાદ જગન્નાથ મંદિરના વર્તમાન પીઠાધીશ્વર પૂજ્ય દિલીપદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાતી રથયાત્રાની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ મહોત્સવ સામાજિક સૌહાર્દ અને સર્વધર્મ સમભાવનું જીવંત પ્રતીક છે. તેમણે ભાવનગરમાં વર્ષોથી યોજાતી જગન્નાથજીની રથયાત્રાનો પણ ઉલ્લેખ કરી તેની સાથેના પોતાના ભાવનાત્મક સંબંધને વ્યક્ત કર્યો.
અંતમાં મોરારી બાપુએ પ્રાર્થના કરી કે દેશભરમાં જ્યાં-જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે તે તમામ કાર્યક્રમો ભગવાનની કૃપાથી શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થાય. તેમણે સૌને જગન્નાથજીની રથયાત્રા પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને પ્રભુચરણોમાં સૌના કલ્યાણની પ્રાર્થના કરી.
== સમાપ્ત ==

