“મારી સાથે કેવળ સત્ય છે અને સત્યની સાથે ભીડ નથી હોતી, પીડ હોય છે!”

0
5

મૌન રહેવું એ કાયરતા નથી.

સાધુ સદા સુહાગી હોય છે. એનું સિંદૂર કોઇ મીટાવી શકતું નથી.

જેની પાસે ગુરુ ચરણ નખ હોય અને સંત કથા હોય એને માટે જગત મિથ્યા નથી.

સત્ય મુખર્ નથી હોતું, મૌન હોય છે. પરંતુ સાધુ બોલે ત્યારે પ્રિય અને મધુર વચન બોલે છે.

સાધુની આબરૂ, પ્રતિષ્ઠા કે પ્રગતિને તમે ચોરી શકો પણ એની પ્રસન્નતાને કદી ચોરી નહીં શકો.

“માનસ સિંદૂર” રામકથાના આજના ત્રીજા દિવસના પ્રારંભે પૂજ્ય બાપુએ જણાવ્યું કે જે ‘પરમ સાધુ ગ્રંથ’ ને લઈને હું દુનિયા ભરમાંફરૂં છું, એ રામચરિતમાનસમાં તેર લાલસા બતાવી છે  અને એ ઉત્તમ લાલસા છે, જે નાશ નથી કરતી પણ સર્જન કરે છે.

પૂજ્ય બાપુએ આ સંદર્ભે

“માનસ લાલસા” વિષય પર કથા કરવાનો મનોરથ વ્યક્ત કર્યો.

એક શ્રોતાએ પૂછ્યું કે “બાપુ! આપ ફરીવાર કાશી આવશો?”

બાપુએ જણાવ્યું કે “હું ફરીવાર કાશીમાં અવશ્ય આવીશ અને જ્યારે આવીશ, ત્યારે “માનસ કબીર” લઈને આવીશ.”

બાપુએ કહ્યું કે – “હું તો મહાદેવનો આશ્રિત છું. એ બોલાવશે એટલે તરત જ હું કાશીમાં આવીશ.”

બાપુએ સુત્રપાત કરતા કહ્યું કે “મૌન રહેવું એ કાયરતા નથી, ચૂપ રહેવું ભય નથી, ચૂપ રહેવાનો મતલબ હારવું નથી.

મારી સાથે કેવળ સત્ય છે અને સત્યની સાથે ભીડ નથી હોતી, પીડ હોય છે!”

પૂજ્ય બાપુએ અહીં કબીરજીનેટાંકતા કહ્યું કે કબીર કહે છે કે “મને કોઈ વિધવા ન કરી શકે, કારણ કે હું તો રામની દુલ્હન છું.”

બાપુએ જણાવ્યું કે “જેનો નાથ પરમાત્મા હોય ,એના સિંદૂરને કોઈ મિટાવી ન શકે! મારો નાથ વિશ્વનાથ છે- ભૂતનાથ છે! મારો નાથ યદુનાથ છે, વ્રજનાથ છે! મારો નાથ રઘુનાથ છે! કેટલાક લોકો કબીર અને તુલસીદાસજીની વિચારધારા વચ્ચે ભેદ ઉભો કરે છે. એ વિશે બાપુએ કહ્યું કે જે મોટા છે, એમનામાં કદી અંદરોઅંદર તકરાર હોતી નથી, સમન્વય હોય છે- સંવાદિતા હોય છે.

સાધુની આબરૂ, પ્રતિષ્ઠા કે પ્રગતિને તમે ચોરી શકો પણ એની પ્રસન્નતાને કદી ચોરી નહીં શકો. ભગવાન શિવ વિશ્વાસ છે અને આપણે સહુ વિશ્વાસુ લોકો છીએ. ભરોસાનું કોઈ પગથિયું નથી હોતું. ત્યાં પંહોચ્યા પછી પણ જો ચૂક્યા, તો પછી નીચે પડી જવાય છે! અપેક્ષા કોઈ પાસે ન રાખો- ગુરુ પાસે પણ નહીં! બસ, કેવળ ભરોસો રાખો. સાધુ સદા સુહાગી હોય છે. એનો સિંદૂર કોઈ મિટાવી ન શકે. સૌરાષ્ટ્રમાં કહે છે કે સિંદૂર પીવડાવવાથીવ્યક્તિનો અવાજ બંધ થઈ જાય છે. પણ સાધુને સિંદૂર પાવા છતાં એના અવાજને તમે બંધ નહીં કરી શકો, કારણ કે એ અવાજમાં  સત્ય છે. અને બીજી વાત એ કે સત્ય મુખર્ નથી હોતું, મૌન હોય છે.

છતાં સાધુ બોલે ત્યારે પ્રિય અને મધુર બોલે છે.

બાપુએ કહ્યું કે ઈચ્છા અને આશા એ બંધન છે. જો ઈચ્છા પૂરી થાય, તો અહંકાર આવે અને ઈચ્છા પૂરી ન થાય તો ડિપ્રેશન આવે. બાપુએ કહ્યું કે લાલચ સારી નથી, એમાં લાળ ટપકે છે! પરંતુ લાલસા ઉત્તમ છે. લાલસા એ પ્રેમ માર્ગનો – ભક્તિમાર્ગનો પ્રિય શબ્દ છે.

બાપુએ કહ્યું કે બીજી ઈચ્છાઓ છોડી દેવી પણ ત્રણ ઈચ્છા રાખવી. એક, ફરી વખત જન્મ લેવાની ઈચ્છા – વારંવાર જન્મ લેવાની ઈચ્છા કરજો. આ મારો નીજ મત છે. વ્યક્તિગત રીતે મારે મુક્તિ નથી જોઈતી, મુક્તિથી ય કિંમતી વસ્તુ ભક્તિ મારે જોઈએ છે. ભગવાન મહાદેવે પણ રામજી પાસે અનપાયની ભક્તિની ઈચ્છા વ્યક્ત કરી છે. ભરતજી પણ જનમ જનમ “રામ પદમાં રતિ” ની ઈચ્છા રાખે છે. નરસિંહ મહેતા કહે છે કે “હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જનમ જનમ અવતાર…”

શાસ્ત્રો કહે છે કે જગત મિથ્યા છે. શંકરાચાર્ય ભગવાને પણ કહ્યું છે કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. નરસિંહ મહેતા કહે છે કે જે વસ્તુ મિથ્યા છે, એ તમારું શું બગાડી લેવાની છે? દાંત અને નખ વગરના સિંહની બીક શું રાખવી? જેની પાસે ગુરુના ચરણનો નખ હોય અને જેની પાસે દંતકથા નહીં પણ સંત કથા હોય ,એને માટે જગત મિથ્યા નથી! પોતાના દર્શનને આગળ વધારતા બાપુએ કહ્યું કે કર્મ ચિત્ત શુદ્ધિ માટે છે, વસ્તુની પ્રાપ્તિ માટે નથી. જો કર્મ કર્યા પછી પણ ચિત્ત બગડે, તો લાખોનો નફો થાય તોય એ પ્રાપ્તિ નથી. જે કર્મથી ચિત્ત શુદ્ધ થાય એ કર્મ જ તમને વસ્તુની પ્રાપ્તિ કરાવશે. પણ ચિત્ત શુદ્ધિ વિના જો વસ્તુ મળી જાય, તો એ વસ્તુ તમને કદી શાંતિ નહીં આપી શકે!

હું ગાર્ગી અને માર્ગી એ બે પરંપરાની વચ્ચે વહી રહ્યો છું. જન્મથી અમે માર્ગી સાધુ છીએ અને વિષ્ણુગિરિદાદાજીએ ગાર્ગી મતના એટલે કે વેદાંતી છે. એ બે ધારા વચ્ચે હું છું.

બાપુએ કહ્યું કે બીજી ઈચ્છા જીવનની રાખવી.  સત્સંગ કરતા કરતા, પ્રસન્નતાથી જીવવું – એવાં જીવનની ઈચ્છા કરવી. ભજન કરવા માટે જીવન હોવું જોઈએ. ભજનની ઈચ્છા જીવનને નવજીવન બક્ષે છે.

ત્રીજી ઈચ્છા – જાણવાની ઈચ્છા રાખવી. ચાર્વાક સંપ્રદાયનું સૂત્ર છે કે – “ઋણમ્કૃત્યાઘૃતમ્પિબેત્” (દેવું કરીને ઘી પીઓ). આ સૂત્રને નવું રૂપ આપતા બાપુએ કહ્યું કે-

“શ્રૃણમ્કૃત્યાઅમૃતમ્પિબેત્”

એટલે કે બુદ્ધ પુરુષનું શ્રવણ કરીને શ્રવણામૃતનું  પાન કરવું, એ જીવન જીવવાની રીત હોવી જોઈએ. કોઈ બુદ્ધ પુરુષના ચરણમાં બેસીને જીવનનું રહસ્ય પામવાની ઈચ્છા રાખવી જોઈએ. ગુરુ સિવાય આપણા જીવનનાંરહસ્યોને કોણ પામી શકશે?

આજની કથામાં સિંદૂર દર્શનમાં પૂજ્ય બાપુએ કહ્યું કે “પાર્વતી મંગલ” માં સિંદૂર શબ્દના ઉલ્લેખ “બંદન” શબ્દ દ્વારા મળે છે. એ પદ રજૂ કરીને બાપુએ પ્રમાણ પ્રસ્તુત કર્યું.

કથાના ક્રમમાં પ્રવેશતા પૂજ્ય બાપુએ રામચરિતમાનસનો આધ્યાત્મિક ઇતિહાસ બતાવતા કહ્યું કે

“શિવ અનાદિ કવિ છે, જેણે રામચરિતમાનસની રચના કરીને એને પોતાના માનસમાં રાખ્યું છે. માનસ આદિ- અનાદિકાળથી છે. યોગ્ય સમયે ભગવાન શિવ પાર્વતીજી સમક્ષ સૌ પ્રથમ માનસ કથાનું ગાન કરે છે. પાર્વતીજીરામચરિત્માનસના પ્રથમ શ્રોતા છે. પછી એ કથા કાક ભુસન્ડિજીને મળે છે. ત્યારબાદ યાજ્ઞવલ્ક્યજી પાસે આવે છે. તુલસીદાસજીએ આ કથા, વરાહ ક્ષેત્રમાં કૃપાળુ ગુરુ પાસેથી સાંભળી છે. વારંવાર ગુરુએ કથા સંભળાવી, એ પછી થોડી સમજણ આવી એ સંદર્ભે બાપુએ કહ્યું કે “કથાને વારંવાર સાંભળવી પડશે. ત્યારે કદાચ ક્યારેક કોઈક સૂત્ર જીવનમાં ઉતરશે.”

જીવનમાં બધી જગ્યાએ ડહાપણ રાખવાની જરૂર નથી! અધ્યાત્મ જગતમાં પાગરપણું ય  જરૂરી છે. તુલસીદાસજીએ ૧૬૩૧ માં, રામનવમીના દિવસે, ત્રેતા યુગમાં રામ જન્મ સમયે જેવો યોગ હતો એવો જ યોગ આવ્યો, એ વખતે રામચરિતમાનસનું પ્રાગટ્ય કર્યું છે.

શિવજીએરામકથાને પોતાના માનસમાં રાખી, એટલે એનું નામ “રામચરિત માનસ” છે.

હિમાલયના માન સરોવર અને  રામ ચરિત્ માનસ રુપી માન સરોવરની તુલના કરતા પૂજ્ય બાપુએ જણાવ્યું કે માનસરોવર દુર્ગમ છે, જ્યારે માનસ સરળ છે. માન સરોવરમાં પાણી છે, જ્યારે માનસમાં વાણી છે. માન સરોવરમાં હંસ છે, જ્યારે માનસમાં પરમહંસ છે. માન સરોવરમાંડૂબે એ મૃત્યુ પામે,જ્યારે રામચરિતરુપી માન સરોવરમાંડૂબે એ તરી જાય છે.

પૂજ્ય બાપુએ થોડા રમુજી ભાવથી

“ઘર દ્વાર” અને “હરિ દ્વાર” ની તુલના કરતા કહ્યું કે ઘર દ્વારમાં આસક્તિ હોય છે અને હરિદ્વારમાં ભક્તિ હોય છે. હરિદ્વારનારખવાળા શ્રી હનુમાનજી મહારાજ કરે છે

“રામ દુઆરે તુમ રખવારે…..”

ગુરુ દત્ત અર્થ પ્રમાણે, શ્રી હનુમાનજીનું હૃદય એ રામનું ઘર છે, જ્યાં ભગવાન રામને વિશ્રામ મળે છે. ઘર દ્વાર પર રામ નહિ મળે, રામ તો હરિ દ્વાર પર જ મળશે!

રામચરિતમાનસના ચાર ઘાટનો ઉલ્લેખ કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે જ્યાં સૌ પ્રથમ રામચરિતમાનસનુંપ્રાગટ થયું એ કૈલાશ, “જ્ઞાન ઘાટ” છે નીલગીરી પર્વત પર જ્યાં કાકભુષંડીજી મહારાજ ગરુડજીને કથા સંભળાવે છે, એ ઉપાસનાનો ઘાટ છે, તીર્થરાજપ્રયાગમાં પરમ વિવેકી યાજ્ઞવલ્કજીમુનીભરદ્વાજજીને કથા સંભળાવે છે, એ કર્મનો ઘાટ છે અને ગોસ્વામીજીશરણાગતિના ઘાટ પરથી રામકથા કરે છે. તુલસીદાસજીપ્રપન્નતાના – શરણાગતિના – ઘાટ પરથી આપણને પ્રયાગરાજમાં કર્મના ઘાટ પર લઈ જાય છે,  ભરદ્વાજજીનીજીજ્ઞાસા પર યાજ્ઞવલ્ક્યજીરામચરિતમાનસની કથાનું ગાન આરંભે છે. ભરદ્વાજજીરામનાપ્રભાવને તો જાણે છે, પણ રામના સ્વભાવ સુધી પહોંચવા માટે સ્વયં જ્ઞાની હોવા છતાં યાજ્ઞવલ્ક્યજીના ચરણ પકડીને, રામકથાસંભળાવવા માટે એમને પ્રાર્થના કરે છે.

રામ મંદિરનું દ્વાર શિવ છે, એટલે રામની કથાનો આરંભ શિવ ચરિત્રની કથાથી થાય છે. કથાના ક્રમમાં શિવ ચરિત્રના આરંભ સુધી પહોંચીને પૂજ્ય બાપુએ આજની કથામાં પોતાની વાણીને વિરામ આપ્યો.

બોક્સ આઇટમ

———————-

મારી સાથે કેવળ સત્ય છે અને સત્યની સાથે ભીડ નથી હોતી, પીડ હોય છે!”

“જેનો નાથ પરમાત્મા હોય ,એનાસિંદૂરને કોઈ મિટાવી ન શકે! મારો નાથ વિશ્વનાથ છે- ભૂતનાથ છે! મારો નાથ યદુનાથ છે, વ્રજનાથ છે! મારો નાથ રઘુનાથ છે!

ઘર દ્વારમાં આસક્તિ હોય છે અને હરિદ્વારમાં ભક્તિ હોય છે.

“કથાને વારંવાર સાંભળવી પડશે. ત્યારે કદાચ ક્યારેક કોઈક સૂત્ર જીવનમાં ઉતરશે.”

જે મોટા છે, એમનામાં કદી અંદરોઅંદર તકરાર હોતી નથી, સમન્વય હોય છે- સંવાદિતા હોય છે.

સાધુની આબરૂ, પ્રતિષ્ઠા કે પ્રગતિને તમે ચોરી શકો પણ એની પ્રસન્નતાને કદી ચોરી નહીં શકો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here