કવિ કમલ વોરાને વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

0
5

પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી કવિને એમના સમગ્ર સર્જનના ઉપલક્ષ્યમાં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે અને એ રીતે કવિ કર્મની વંદના કરવામાં આવે છે. આ એવોર્ડમાં ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાલા અને રૂ. એક લાખ એકાવન હજારની સન્માન રાશિનો સમાવેશ થાય છે.

વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ  કવિ કમલ વોરાને આગામી શરદ પૂર્ણિમા, તા. 16 ઓક્ટોબર, 2024, બુધવાર સાંજના 6 કલાકે રામવાડી, તલગાજરડા ખાતે પૂ. મોરારિબાપુ, ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી રઘુવીર ચૌધરી અને સારસ્વતો, વિદ્વજજનોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે કવિ કમલ વોરાના સર્જન કર્મ વિશે શ્રી રાજેશ પંડ્યા વક્તવ્ય આપશે તથા પૂ. મોરારિબાપુ પ્રસન્નતા વ્યક્ત કરશે.
આ પ્રસંગે કવિ  વિનોદ જોશીનાં સાહિત્ય અકાદમી, દિલ્હીના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત  પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ના અદિતિ દેસાઈ દિગ્દર્શિત અને આર.જે. દેવકી તેમજ અન્ય કલાકારો દ્વારા અભિનીત નૃત્ય-નાટ્ય રૂપાંતરની પ્રસ્તુતિ પણ થશે.

મુંબઇ સ્થિત કવિ શ્રી કમલ વોરા ગુજરાતી ભાષાના અનુઆધુનિક સમયના વિશિષ્ટ કવિ છે. તેઓ ‘એતદ્’ નામના એક ગુજરાતી સાહિત્યિક ત્રૈમાસિક સામાયિકના તંત્રી પણ છે. તેમનો પહેલો કાવ્ય સંગ્રહ ‘અરવ’ ૧૯૯૧ માં પ્રગટ થયો હતો ત્યાર બાદ ‘અનેકએક’ (૨૦૧૨) અને ‘વૃદ્ધશતક’ (૨૦૧૫),જુઠ્ઠાણાં (૨૦૨૩) અને અનુજા (અનુવાદ સંગ્રહ – 2023) સંગ્રહો પ્રકાશિત થયા. તેમની કવિતાઓ હિંદી, મરાઠી બંગાળી, કન્નડ અને અંગ્રેજીમાં અનુવાદિત થઈ છે. ‘અનેકએક’ (૨૦૧૨) સંગ્રહ માટે તેમને ૨૦૧૬નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમના સંગ્રહ ‘અરવ’ને ઉમાશંકર જોષી પુરસ્કાર મળ્યો હતો. તેમને ૨૦૨૦ના વર્ષનો ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here