ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: વૈશ્વિક પર્યાવરણ બદલતું જાય છે એ અનુસંધાને ઉત્તરાખંડમાં તાજેતરમાં ચમોલી વિસ્તારમાં ભયંકર હિમવર્ષા થઈ. એ વિસ્તારમાં ટનલનું કામ ચાલતું હતું અને અચાનક આવેલા હિમપ્રપાતમાં 57 જેટલાં લોકો બરફમાં દટાઇ ગયા હતા. ભારતીય સેનાના જવાનોની મહેનતને કારણે ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આઠ લોકોના મોત નીપજ્યા છે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય બાપુએ આ પરિવારોને રૂપિયા 1,25,000ની સહાયતા અર્પણ કરી છે. આ રકમ ઉત્તરાખંડ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે.
બે દિવસ પહેલા લીમડી નજીક રળોલ ગામમાં આગ લાગતાં ચાર લોકોનાં મોત થયાં છે. એમનાં પરિવારને પણ રૂપિયા 60,000 ની રાશિ અર્પણ કરવામાં આવી છે. ધારી તાલુકામાં એક ગામમાં મધ્યરાત્રીએ શ્રમિક પરિવારના બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. એ બાળકના પરિવારને 15,000 ની સહાયતા અર્પણ કરી છે. કુલ મળીને રૂપિયા બે લાખની આ વીત્તજા સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા વરુણભાઈ દ્વારા કરવામાં આવશે. પૂજ્ય બાપુએ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.