કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો

0
12

આપણાં મૂળ સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરવા માટે સહુથી એક નિશ્ચિત અંતર રાખવું જરૂરી છે.

માનો ખોળો આનંદા યુનિવર્સિટીનું પહેલું સ્થાન છે.

મુક્તિ રુપી નારીનો શણગાર રામકથા છે.

“માનસ નાલંદા વિશ્વવિદ્યાલય” ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ અનુભવ્યું કે આજે વ્યાસપીઠ જાણે અનરાધાર વરસી રહી હતી. માનસ કથાના આ “પ્રેમ ઘાટ” પરથી જાણે કે ત્રિભુવની વાણી ગંગાના શુભ, શીતળ અને પાવન પ્રવાહ રૂપે વહી રહી હતી. કથારંભે પૂજ્ય બાપુએ કહ્યું કે –

“હું અહીં કથા ગાન કરવા અવશ્ય આવ્યો છું, પણ એથી ય વિશેષ તો હું આ ભૂમિને પ્રણામ કરવા, એનો અભ્યાસ – અધ્યયન કરવા આવ્યો છું!”

પૂજ્ય બાપુએ નાલંદા વિશ્વ વિદ્યાલય અને આનંદા વિશ્વવિદ્યાલયનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરતા કહ્યું કે  નાલંદા યુનિવર્સિટી શિક્ષિત લોકો માટે છે, જ્યારે આનંદા યુનિવર્સિટી અશિક્ષિત, અભણ અને સાવ ગમાર લોકો માટે છે. રામ કથા” આનંદા યુનિવર્સિટી” છે. આનંદ દરેક વ્યક્તિનો અધિકાર છે. આનંદ આપણાં સ્વરૂપ અને સ્વભાવ છે. અહીં સહુનો પોતાનો આનંદ છે. પ્રકૃતિના પાંચેય તત્વોનો પોતાનો અલગ આનંદ હોય છે.

બાપુએ કહ્યું કે “મા નો ખોળો આનંદા યુનિવર્સિટીનું પ્રથમ સ્થાન છે.”

જો તમે આનંદા વિદ્યાલયમાં તમારું કશું સાથે લઇને, ભરાયેલા આવશો તો ચૂકી જશો. પરંતુ સાવ ખાલી થઇને આવશો, તો  ઘટના ઘટી જશે!

જ્યારે તમે અહીંથી ઘેર પાછા ફરો, ત્યારે આનંદની એવી લહેરખી લઇને જજો , જેથી પરિવારને પણ લાગે કે આદમીમાં કંઈક પરિવર્તન તો જરૂર આવ્યું છે!

રામ કથા તમને શૃંગારિત કરે છે. અહીં “મેકઅપ” પણ છે અને વેકઅપ પણ છે! મુક્તિ રૂપી નારીનો શણગાર રામ કથા છે.

નાલંદા અને આનંદા વિશ્વવિદ્યાલયની તુલના કરતા બાપુએ કહ્યું કે નાલંદામાં પ્રવેશ માટેના નિયમો છે. નાલંદાનો દ્વારપાલ પણ ચકાસ્યા વગર તમને પ્રવેશ આપશે નહીં. જ્યારે આનંદામાં પ્રવેશ માટે કોઈ નિયમ  કે પ્રતિબંધ નથી!

નાલંદા વિશ્વવિદ્યાલયનું બાહ્ય પ્રારુપ છે, આનંદા વિશ્વવિદ્યાલયનું સ્વરુપ ભીતરી છે. આ આંતરિક આનંદનો મામલો છે.

વિશ્વ વિદ્યાલયો માં અનેક વિષયો શીખવાય છે, આનંદા વિશ્વવિદ્યાલયમાં વિષય નહીં, વિશ્વાસ છે. વિષયો ઘણાં હોય, ભરોસો તો કેવળ એક ઉપર જ હોય!

ભરવાડના ઘેટાં-બકરાં આખરે તો પોતાની ઝોકમાં જ પાછા ફરે છે. યાત્રા પૂરી કરીને વ્યક્તિ આખરે પોતાના ઘરે આવે છે.  પતંજલિ જેને પ્રત્યાહાર કહે છે, તેવી જ રીતે આપણે પણ આપણા મૂળ પાસે પાછાં આવી જવું જોઈએ.

વિશ્વ વિદ્યાલયોમાં ભાષ્ય છે, અહીં ભાષ્ય નહીં, માત્ર ભાવ હોય છે. ભાસ્ય એક એવી જાળ છે, જેને  પકડી ન શકો પણ ભાવને ને પકડી શકાય છે – આનુભવી શકાય છે.

બાપુએ આજે છેલ્લા દિવસનાં કથા ચિંતનમાં કેટલાક અદ્ભુત સૂત્રપાત કર્યા. તેમણે કહ્યું કે તુલસીદાસજીએ “એક બલ” શબ્દનો ઉપયોગ કર્યો છે. અહીં એક બલનો અર્થ “તારૂં બળ” – (રામનું બળ) એવો થાય છે! આશ્રિત એ છે, જેની પાસે પોતાની કોઈ શક્તિ નથી – આ શરણાગતિનું શિખર છે – ખૂબ મોટી છલાંગ છે!

નાલંદા અને આનંદા ના તુલનાત્મક અભ્યાસમાં, પૂજ્ય બાપુએ આગળ કહ્યું કે નાલંદા વિશ્વ વિદ્યાલય સંસાધનોથી સમૃદ્ધ છે, આનંદા યુનિવર્સિટી સાધનાથી સમૃદ્ધ છે. ત્યાં તમને પ્રમાણપત્ર મળે છે, અહીં તમને પ્રેમ પત્ર મળે છે. ત્યાં ડિગ્રી છે, અહીં જિગરી છે. ત્યાં કુલપતિ છે, અહીં “કુલ ગતિ” છે – પૂર્ણત:  ગતિ, પૂર્ણત: મુક્તિ છે. નાલંદા યુનિવર્સિટીમાં એક નિશ્ચિત અભ્યાસક્રમ હોય છે, અહીં “અધ્યાસ ક્રમ” છે. નાલંદા “કર્મ પ્રધાન” છે, આનંદા “કૃપા પ્રધાન” છે.

બાપુએ કહ્યું કે આપણે બધા આશાઓના બંધનમાં બંધાયેલા છીએ. દરેકને કોઈને કોઈ આશા  છે, તેથી જ કોઈને શાંતિ મળતી નથી. ે

ગીતાના ન્યાયથી આપણી જેવા સંસારીઓ માટે શાંતિ મેળવવા માટે બાપુએ આપણને ચાર વાત બતાવી. એક તો એ, કે બધી જ આશાઓથી મુક્ત થઇ જવું.

બીજું, સ્પૃહાથી મુક્ત થવું. આપણા બધામાં અનેક પ્રકારની સ્પૃહા હોય છે. આશાનું વિકૃત સ્વરૂપ એટલે સ્પૃહા. સ્પૃહા ધરાવતો માણસ હિંસા, બળાત્કાર અને ભ્રષ્ટાચાર કરે છે. તે દંભી, ઉગ્ર અને ઘમંડી હોય છે.

ત્રીજું,  નિર્મમ બનવું.

સહુની સાથે રહો પણ કોઈ પ્રત્યે મમતા ન રાખો. આપણા મૂળ સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરવા માટે બધાથી એક નિશ્ચિત અંતર જરૂરી છે. જેણે ભજન કરવું છે  તેણે બધાથી પ્રમાણિત અંતર રાખવું જોઈએ. શાંતિ પ્રાપ્ત કરવા માટે ચોથું સૂત્ર છે – કોઈ પણ બાબતનો અહંકાર ન રાખવો.

પરમાત્માની કૃપા પ્રાપ્તિનો ઉપાય જણાવતા બાપુએ કહ્યું કે શક્ય એટલા એકાંતમાં રહો. એકાગ્રતા સારી વસ્તુ છે પરંતુ તેમાં “એકની અગ્રતા” હોય છે. જ્યાં એકનો પણ અંત થઇ જાય, તે એકાંત છે. એકાંત ખૂબ જ ઉચી પદવી છે.

ભગવાનની કૃપા એકાંતમાં પ્રાપ્ત થાય છે. લૌકિક એકાંત પરિવારના પ્રેમને આકર્ષે છે, આધ્યાત્મિક એકાંત ત્રિભુવનીય  કૃપાને આકર્ષે છે.

કથામાં પણ એકાંત શોધી લેવું, આ સાધના છે, એ જ અનુષ્ઠાન  છે.

બાપુએ માનસના ગુરુમુખી રહસ્ય ખોલતા કહ્યું કે માનસમાં “પ્રેમ પંચક” છે.

એક પ્રેમ , બીજો પરમ પ્રેમ, ત્રીજો તત્વ પ્રેમ, ચોથો કેવળ પ્રેમ છે અને પાંચમો નિષ્કેવળ પ્રેમ.

તેથી જ હું કથાને “પ્રેમ યજ્ઞ” કહું છું, જ્ઞાન યજ્ઞ નહીં.

માનસમાં ભગવાન શિવે પ્રેમ શબ્દનું ઉચ્ચારણ કર્યુ છે.

“હરિ વ્યાપક સર્વત્ર સમાના,

પ્રેમ તે પ્રગટ હોઈ મૈં જાના.”

આ પ્રેમની ભાવ દશા છે. જે સ્થળાંતર, કાલાંતર, ભાષાંતર, વેશાંતર, વર્ણાંતર કે ભાવાંતર કર્યા વિના જે પ્રગટ થાય છે, તે” “પ્રેમ” છે.

બીજો પરમ પ્રેમ એ છે, જે અંત:કરણને ખતમ કરી નાખે.

“પરમ પ્રેમ પુરાણ દોઉ ભાઈ.

મન બુદ્ધિ ચિત્ત અહમિતિ  બિસરાઇ.”

ત્રીજો છે તત્વ પ્રેમ, જેને ફક્ત રામ જ જાણે છે.

“તત્વ પ્રેમ કર મમ અરુ તોરા. જાનત પ્રિયા એકુ મનુ મોરા.”.

ભગવાન રામ હનુમાનજી દ્વારા સીતાજીને સંદેશ મોકલે છે. આ સ્થૂળ પ્રેમ નથી, સૂક્ષ્મતમ પ્રેમ છે! ફક્ત મન જ તત્વ પ્રેમને જાણી શકે છે, પરંતુ મન પોતાની પાસે ન રહેતા પોતાના પ્રિયતમની  પાસે હોવું જોઈએ.

ભગવાન રામને સૌથી પ્રિય કેવળ પ્રેમ” છે.

“રામ હી કેવલ પ્રેમ પિયારા

જાની લેહું જો જાનનહારા.”

બાપુએ અહીં એક અનોખો સૂત્રપાત કરતા કહ્યું કે કેવળ જ્ઞાન મુક્તિ આપી શકે , પણ મસ્તી તો” કેવળ પ્રેમ” જ  આપી શકે છે.

પાંચમો પ્રેમ છે” નિષ્કેવલ પ્રેમ”.  જે રામની પાસે જ્ઞાનીઓ અને મુનીઓ પણ નથી જઈ શકતા,  વેદ પણ “નેતિ નેતિ” કહીને ચૂપ થઈ જાય છે, ત્યાં રીંછ – વાનર પહોંચી જાય છે. રામને રીંછ અને વાનરો પર નિષ્કેવલ પ્રેમ છે.

કેવળ પ્રેમીને માત્ર પરમાત્મા પાસેથી અથવા પોતાના સદ્ગુરુ પાસેથી કેવળ પ્રેમ જ જોઇએ છે.” કેવળ પ્રેમ” ઇચ્છે છે કે હું એને યાદ કરું, તો એ પણ મને યાદ કરે!

જ્યારે નિષ્કેવળ પ્રેમ એવું ય ઇચ્છતો નથી! આશ્રિત પોતાના સદ્ગુરુને સંપૂર્ણપણે મુક્ત રાખે છે.

પૂજ્ય બાપુએ કહ્યું –

“હું તમને માટે આનંદા યુનિવર્સિટીનું આ પાઠ્યપુસ્તક આપી રહ્યો છું. તેનો અધ્યયન- અભ્યાસ કરજો, સ્વાધ્યાય કરજો અને જ્યારે જરૂર પડે ત્યારે તેને ખોલીને અને વાંચી લેજો.”

બાપુએ કહ્યું કે એકાંત, નિષ્કેવળ પ્રેમ, સાધુની કૃપા અને બુદ્ધ પુરુષની કરુણા, પરમાત્માની કૃપાને ખેંચી લાવે છે. જ્યારે આપણાં ક્રિયા, વ્રત અને નિયમ ફળની આશાથી મુક્ત હોય, ત્યારે પ્રભુની કૃપા ઉતરે છે. નિષ્કામ ભાવથી નિયમ અને વ્રતનું પાલન કરવું જોઈએ.

જ્યારે આપણે આપણાં હૃદયમાં ભગવાનની કૃપામયી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરીએ છીએ, ત્યારે કૃપા આપોઆપ ખેંચાઇ આવે છે. કથાના ક્રમમાં પ્રવેશતા પૂજ્ય બાપુએ ખૂબ જ સંક્ષેપમાં અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ, લંકા કાંડ અને ઉત્તર કાંડનો સાત્વિક-તાત્વિક સંવાદ કરીને કથામાં રામ રાજ્યની સ્થાપના કરી.  લવ – કુશના જન્મના ઉલ્લેખ સાથે કથા સંપન્ન કરતા  તેમણે કહ્યું કે રામનું સ્મરણ કરવું, રામ કથાનું ગાન અને કથા શ્રવણ એ જ કથાનો સારભૂત સંદેશ છે.

નવ દિવસના કથા અનુષ્ઠાનના ફળને પ્રાચીન નાલંદાના પ્રથમ કુલપતિ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમર્પિત કરતા, બાપુએ એવી લાગણી વ્યક્ત કરી કે આધુનિક નાલંદાને પણ સમગ્ર વિશ્વમાં એ જ ગરિમા અને ગૌરવ પ્રાપ્ત થાઓ.

આ સાથે, પૂજ્ય બાપુએ “માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય” શિર્ષક અંતર્ગત ગવાએલી રામકથાને વિરામ આપ્યો.

બોક્સ આઇટમ

——————-

બિહાર રાજ્યના મુખ્ય સચીવ શ્રી અમૃતલાલ મીણાએ પૂજ્ય બાપુને જણાવ્યું કે વૈશાલી નગરમાં ભગવાન બુદ્ધના અસ્થિ કળશનાં સ્થાપના મંદિરનું લોકાર્પણ ત્રણેક માસમાં થઇ જશે. એ સમયે બાપુ વૈશાલીમાં કથા ગાન કરવા પધારશે, ત્યારે બિહાર રાજ્યના તમામ સચીવો કથા શ્રવણ માટે ઉપસ્થિત રહેશે. બાપુએ એ અંગે પ્રસન્નતા વ્યક્ત કરી, કથાના મનોરથીની પણ જાહેરાત કરી દીધી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here