કારગિલ વિજય દિવસ 2026: સંરક્ષણ મંત્રીએ જાવા અને યઝદી મોટરસાઇકલ્સ પર સવાર રાઇડર્સ સાથેની ‘શૌર્ય વિજય યાત્રા’ને લીલી ઝંડી બતાવી રવાના કરી

0
5

નવી દિલ્હી | ૧૪મી જુલાઈ ૨૦૨૬ | કારગિલ વિજય દિવસ 2026ની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે નવી દિલ્હીના નેશનલ વૉર મેમોરિયલ ખાતેથી જાવા અને યઝદી મોટરસાઇકલ્સ પર સવાર રાઇડર્સ સાથે 13 દિવસ માટે આયોજિત ‘શૌર્ય વિજય યાત્રા’ને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. ‘વન રાઇડ, વન નેશન, વન સેલ્યુટ’ના સૂત્ર સાથે આયોજિત આ 1,900 કિમીની યાત્રામાં ફરજ પરના અને સેવાનિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ તેમજ વીર શહીદોના પરિવારજનો સહિત કુલ 28 રાઇડર્સ લદ્દાખના દ્રાસ સ્થિત કારગિલ વૉર મેમોરિયલ સુધીની સફર ખેડશે. આ યાત્રાનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ વર્ષ 1999માં લડાયેલા કારગિલ યુદ્ધમાં વિજય અપાવનારા ભારતના શૂરવીર જવાનોના સાહસ, અડગ સંકલ્પ અને સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનો છે.

આ યાત્રા ચંડીમંદિર, રેઝાંગ લા અને લેહ વૉર મેમોરિયલ થઈને 26 જુલાઈ, 2026ના રોજ કારગિલ વૉર મેમોરિયલ ખાતે સમાપ્ત થશે. આ યાત્રામાં નેશનલ વૉર મેમોરિયલની પવિત્ર માટી કારગિલ સુધી લઈ જવામાં આવશે, જે ભારત જેનો સાક્ષી રહ્યો છે, તેવા યુદ્ધવીરોની અનેક પેઢીઓના સંગમનું પ્રતીક બની રહેશે. આ ઉપરાંત રાઇડર્સ વીર નારીઓની અદમ્ય હિંમત અને ધૈર્યને બિરદાવવા માટે તેમનું પણ સન્માન કરશે.

ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, ચીફ ઑફ ડીફેન્સ સ્ટાફ જનરલ એન. એસ. રાજા સુબ્રમણી, આર્મી સ્ટાફના વડા જનરલ ધીરજ સેઠ તથા તેમની સાથે સેનાના વરિષ્ઠ અધિકારીઓ, નિવૃત્ત જવાનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ યાત્રાને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. નેશનલ કેડેટ કૉર્પ્સની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમ દ્વારા દેશના યુવાનોને ભારતના શૂરવીર જવાનોને હંમેશાં યાદ રાખવા તેમજ ફરજ, સન્માન અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

સભાને સંબોધતા શ્રી રાજનાથ સિંહે કારગિલ યુદ્ધ દરમિયાન પોતાના સાહસ અને અડગ મનોબળથી તિરંગાના સન્માનની રક્ષા કરનારા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે આ વિજયને ભારતની પોતાની ધરતી અને ઓળખની રક્ષા કરવાના અડગ સંકલ્પના પ્રતીક તરીકે ગણાવ્યો હતો. તેમણે પરમવીર ચક્રથી સન્માનિત કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે, સુબેદાર મેજર (માનદ કેપ્ટન) યોગેન્દ્ર સિંહ યાદવ (નિવૃત્ત) અને સુબેદાર મેજર (માનદ કેપ્ટન) સંજય કુમાર (નિવૃત્ત)ના યોગદાનને પણ યાદ કર્યા હતા.

જાવા યઝદી મોટરસાઇકલ્સે વર્ષ 2021માં આ શ્રદ્ધાંજલિ યાત્રાની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ મોટરસાઇક્લિંગ સમુદાયને ભારતના શૂરવીર જવાનોની પ્રેરણાદાયી ગાથાઓ અને દેશસેવાની ભાવના સાથે ઘનિષ્ઠતાપૂર્વક જોડવાનો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં આ યાત્રા નિર્ભીકતા, બલિદાન અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને બિરદાવતી એક પરંપરામાં પરિવર્તિત થઈ ગઈ છે. આ વર્ષે આ યાત્રા જાવા 350, 42, 42 એફજે તેમજ યઝદી એડવેન્ચર અને સ્ક્રેમ્બલર મોટરસાઇકલ્સ પર કરવામાં આવશે. 

ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, ‘શૌર્ય વિજય યાત્રા’નું આયોજન કરીને અમે આજની પેઢીને કારગિલના શૂરવીરો, તેમના પરિવારજનો અને તેમના બલિદાનને યાદ કરવામાં અમારી આગવી રીતે યોગદાન આપીએ છીએ. ભારતીય સશસ્ત્ર દળો સાથે એકતા વ્યક્ત કરવા તેમજ નવી પેઢીને વીરતા, શિસ્ત, અડગ સંકલ્પ અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યો સાથે પરિચિત કરાવવાના ઉદ્દેશથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તેમને સાચા અર્થમાં નાયક બનાવે છે. ભારતીય સેના સાથે મળીને આ શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવું અને આપણા શૂરવીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની તક મળવી એ અમારા માટે ગૌરવની વાત છે.’ 

શૌર્ય વિજય યાત્રા 2026નો દરેક કિલોમીટર એ વાતની યાદ અપાવે છે કે, પોતાના કરતાં દેશને સર્વોપરી માનનારા સૈનિકોની અનેક પેઢીઓએ આપણને મળેલી સવારી કરવાની, પ્રવાસ કરવાની અને સપનાં જોવાની સ્વતંત્રતાની રક્ષા કરી છે.

== સમાપ્ત ==

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here