ગુજરાતીનાં મન-મોરને થીરકાવવા બગસરામાં ખૂલી રામકથાની ફૂલ-છાબ

0
14

જેની મેઘ જેવી વાણી એનું નામ મેઘાણી.”

મેઘાણી ભૂમિ બગસરાનાંઆંગણે ચાલીસ વરસ બાદ મોરારિબાપુની કથાનો દિવ્ય આરંભ

મેઘાણી રાષ્ટ્રીય શાયર તો છે જ પણ એ સાયર પણ છે.”

જેની રેન્જ રજથી સૂરજ સુધી છે એ મેઘાણી.

મૂળ બગસરાનાં પણ ચોટીલાનાં જૈન વણિક પરિવારમાં જન્મેલા અને ૧૯૩૬થી ૧૯૪૫ સુધી ‘ફૂલછાબ’નાં સંપાદક તંત્રી તરીકે ભૂમિકા નિભાવી અને પત્રકારત્વનાં ક્ષેત્રમાં આગવી પ્રતિભા ઉત્પન્ન કરનાર સમર્થ સાહિત્યકાર, સ્વાતંત્રય સેનાની, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, કવિ, અનુવાદક, સંશોધક, પત્રકાર-આમ સાહિત્યની લગભગ તમામ વિધાના જ્ઞાતા એવા મહા માનવ ઝવેરચંદ મેઘાણીની ૮૦મી પુણ્યતિથિ નિમિત્તે (જન્મ-૨૮-૮-૧૮૯૬;અવસાન-૯ માર્ચ ૧૯૪૭) બગસરા ખાતે, કથા દ્વારા સ્મરણાંજલિ આપવા માટે તથા વિશ્વમાં વસતા દરેક ગુજરાતીનાં મનને મોર બનીને થનગનાટ કરાવવા મેઘાણીજીનાં પૈતૃક ગામ બગસરામાં મોરારીબાપુની રામકથાનાં મંડાણ થયા.

કથા દરમિયાન ૯ તારીખે ઝવેરચંદ મેઘાણીની ૮૦મી પૂણ્યતિથિ પણ છે.

ઝવેરચંદ મેઘાણીનાં પૌત્ર-મેઘાણી સ્મૃતિ સંસ્થાનનાં સ્થાપક પિનાકી નાનકભાઇ મેઘાણી તેમજ મેઘાણી-ગીતોનાં લોકગાયક અભેસિંહ રાઠોડ આ કથા માટે બાપુનાં આભારી છે.

કથા મનોરથી અમેરીકા સ્થિત મૂળ લાઠીનાં હર્ષાબા ગોહિલ પરિવાર છે.

આરંભે મેઘાણીનાં સુપુત્ર અશોકભાઇ મેઘાણી,પ્રપૌત્ર પિનાકી મેઘાણી,સાંસદ પુરૂષોત્તમ રૂપાલા,દિલીપ સંઘાણી, કાઠી અગ્રણી બદરૂબાપુ,શ્રી શિવરામ સાહેબ (મોરબી), ધારાસભ્યો જે.વી.કાકડિયા, મહેશ કસવાલા અને મનોરથી પરિવારનાં અજયભાઇ ગોહિલનાં હસ્તે દીપ પ્રાગટ્ય બાદ બાપુએ બીજ પંક્તિઓ ઉઠાવી:

કલિ કે કબિન્હ કરઉં પરનામા;

જિન્હ બરને રઘુપતિ ગુનગ્રામા.

જે પ્રાકૃત કબિ પરમ સયાને;

ભાષા જિન્હ હરિચરિત બખાને.

ભએ જે અહહિ જે હોઇહહિં આગે;

પ્રનવઉ સબહિ કપટ સબ ત્યાગે.

-બાલકાંડ

કથાબીજ તેમજ કથા નામકરણ બાબત પ્રકાશ પાડતા જણાવ્યું કે ૪૦-૪૫ વર્ષ થઈ ગયા.ફરી વખત આ કથા કરવા આવ્યો છું.વરસો પહેલા ડોંગરેજી મહારાજની કથા સાંભળવા આવેલા એનું સ્મરણ કર્યું.

મહાપુરુષ માટે શ્રદ્ધાંજલિમાં કોઈ ફૂલ ચડાવે,કોઈ ચાદર ચડાવે,દીપ પ્રગટાવે,કોઈ સંકલ્પ કરે.હું રામકથા આપીને શ્રદ્ધાંજલિ આપું છું.

મેઘાણીનો પોતિકો અર્થ જણાવતા બાપુએ કહ્યું જેની મેઘ જેવી વાણી એનું નામ મેઘાણી.સાથે-સાથે એ પણ જણાવ્યું કે એક અંજલિ રવિશંકર મહારાજને કથા દ્વારા આપવી છે.કાનજી ભુટા બારોટના સ્મરણમાં અને એક કથા રમેશ પારેખનાં સ્મરણમાં કરવી છે-આવા ત્રણ મનોરથો છે. ગાંધીબાપુએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા અને વિવિધ મહાનુભાવોએ મેઘાણીને પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી.કાગબાપુ એ આપેલી અંજલિનું પણ પઠન કર્યું.મેઘાણી રાષ્ટ્રીય શાયર તો છે જ પણ એ સાયર પણ છે.એવા સાગર પેટા મેઘાણીનું મંથન કરીને એમાંથી ક્યાં ૧૪ રત્નો મળ્યા છે એની વાત સમગ્ર કથા દ્વારા કરવી છે એવું જણાવ્યું.આ માણસની રેન્જ રજથી સૂરજ સુધીની છે.

ગ્રંથ માહાત્મ્ય,વંદનાઓ બાદ હનુમંત વંદના ગાન થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here