વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલમાં દેશી કલાકારોના તાલે ઝૂમી રહ્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ

0
9

મુંબઈ 17 સપ્ટેમ્બર 2024: નાના અમથા પાંચેક વરસના બાળકથી લઈ સિત્તેર-એંસી વરસની વડીલને જો પૂછીએ કે નવરાત્રિ કેટલા દિવસ ઉજવાય? તો બધાનો જવાબ હશે નવ દિવસ. પણ જવાબ છે ના. આજની તારીખે જોવા જઇએ તો વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલની ઉજવણી એક-બે નહીં પૂરા પાંચ મહિના ચાલે છે. આશ્ચર્ય જેવી વાત લાગે છે ને? પણ હકીકત છે. ચાલો તમને જણાવીએ કે નવ દિવસનો આ તહેવાર પાંચ મહિના કેવી રીતે ઉજવાય છે.

અરદેશર ફરામજી ખબરદારની કવિતા મુજબ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એને આજના સંદર્ભમાં લઇએ તો જ્યાં વસે ગુજરાતી ત્યાં નવરાત્રિ ઉજવાય. આપણા ગુજરાતના એવા કલાકારો અને આયોજકો છે જેઓ નવરાત્રિને વૈશ્વિક બનાવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં નવરાત્રિનું જેટલું માર્કેટ છે એના કરતા દસ ગણું વિદેશમાં છે. એટલે કે ભારતમાં નવરાત્રિનો જેટલો બિઝનેસ થાય છે એના કરતા દસ ગણો બિઝનેસ વિદેશમાં થાય છે. એનું કારણ એ છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓ સતત નવ દિવસ નવરાત્રિની ઉજવણી કરી શકતા નથી. એટલે તેઓ જૂનથી ઓક્ટોબર મહિના સુધી દર શનિવાર-રવિવારે ગરબાનું આયોજન કરતા હોય છે. ભારતમાં ચોમાસાની શરૂઆત થાય, એટલે કે જુલાઈ – ઓગસ્ટમાં કલાકારો વિદેશ રવાના થાય છે. કલાકારોના માનીતા દેશોમાં છે દુબઈ, બહેરિન, કુવૈત, કતર, ઑસ્ટ્રેલિયા, યુરોપમાં બ્રિટન, ફ્રાન્સ, પોલેન્ડ, આફ્રિકામાં તાન્ઝાનિયા, દક્ષિણ આફ્રિકા તથા અમેરિકા, કેનેડા. આ સમયગાળા દરમિયાન મોટાભાગના કલાકારો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ અપલોડ કરતા હોય છે કે, આજે હું મેલબોર્ન – સિડની – લંડનમાં છું અને તમને શોમાં ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ છે. હકીકતમાં વિદેશમાં જઈ આ કલાકારો 4-5 મહિના ત્યાં રહેતા ગુજરાતીઓને ગરબા રમાડતા હોય છે.

વીક-ઍન્ડના તમામ શો હાઉસફુલ જતા હોય છે

જ્યારથી વિદેશમાં નવરાત્રિની ઉજવણી શરૂ થઈ છે ત્યારથી માતાજીનો આ તહેવાર વિશ્વનો સૌથી લોંગેસ્ટ તહેવાર બનવાની સાથે ગ્લોબલ ફેસ્ટિવલ બની ગયો છે. મજાની વાત એ છે કે વિદેશમાં માત્ર ગુજરાતીઓ જ નહીં પણ જે-તે દેશના નાગરિકો પણ હોંશથી ગરબા રમતા જોવા મળે છે.

વિદેશમાં નવરાત્રિનું આયોજન કરનાર કંપની અને આયોજકોમાં અવ્વલ સ્થાને છે યશ એન્ટરટેઇન્મેન્ટ. જ્યારે વિશ્વભરમાં જેમની ડિમાન્ડ છે એવી ગાયિકા છે ગરબા પ્રિન્સેસ ઐશ્વર્યા મઝુમદાર. આ તમામ દેશોમાં આ વરસે ઐશ્વર્યા મઝુમદાર યશ એન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ ચાલીસ જેટલા શો કરવાની છે. માત્ર ઐશ્વર્યા મઝુમદાર જ નહીં, પણ અડધો ડઝન જેટલા કલાકારો વિદેશ જઈ નવરાત્રિ કરતા હોય છે.

ગ્લોબલ નવરાત્રિ બિઝનેસ અંગે વધુ માહિતી આપતા યશ એન્ટરટેઇન્મેન્ટના મિતુલભાઈ શાહે જણાવ્યું કે, કોવિડ મહામારી બાદ અમે વૈશ્વિકસ્તર પર નવરાત્રિનું આયોજન શરૂ કર્યું. અમારા માટે આ માત્ર બિઝનેસ નથી પણ ગુજરાતની અસ્મિતાને વિશ્વભરમાં પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે. સ્વાભાવિકપણે આમાં આર્થિક બાબતો પણ સંકળાયેલી છે. પણ અમને આનંદ એ વાતનો છે કે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ નવરાત્રિ મહોત્સવને આવકારી રહ્યા છે. જેને કારણે વિશ્વના અનેક દેશોમાંથી શોના આયોજન માટે અનેક સંસ્થાઓ યશ એન્ટરટેન્મેન્ટનો સંપર્ક કરી રહી છે. શરુઆતમાં 5 – 7 શો થી શરૂ કરીને માત્ર 5 વર્ષમાં અમે સમગ્ર વિશ્વમાં ફક્ત પાંચ મહિનામાં 40 થી વધુ નવરાત્રિના શો કરી રહ્યા છીએ. અમારી સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને તેમાં પણ યુવાઓ જોડાઈ રહ્યા છે.

વિદેશના શો અંગે જાણકારી આપતા ગરબા પ્રિન્સેસ ઐશ્વર્યા મઝમુદારે જણાવ્યું કે, વિશ્વભરમાં વિવિધ દેશોમાં વસતા માતાજીના ભક્તો સાથે નવરાત્રિની ઉજવણી કરવાનો અનુભવ જ કંઇક અલગ છે. વિદેશમાં ગરબાના આયોજન માટે અમારે ખાસ તૈયારી કરવી પડે છે. દુનિયાના પાંચેય ખંડના દેશોમાં વસતા ગુજરાતીઓની પસંદગી અલગ-અલગ હોવાથી અમારે એ મુજબના ગરબા ગાવા પડે છે. જેમ વડોદરામાં જે પ્રકારના ગરબા ગવાતા હોય એ મુંબઈ કરતા સાવ અલગ હોય છે. તેમ અમેરિકનો કરતા બ્રિટનના ગુજરાતીઓની પસંદગી સાવ વેગળી હોય છે. એનું પણ કારણ છે, બ્રિટનમાં સો-દોઢસો વરસથી ગુજરાતીઓ વસવાટ કરી રહ્યા છે. તેઓ જૂના અને ભાતીગળ ગરબા પસંદ કરે છે. જ્યારે અમેરિકામાં ગુજરાતીઓ લગભગ 50-60 વરસથી રહેતા હોવાથી તેમને નવા ગરબાની સાથે બૉલિવુડ ટચ ધરાવતા ગરબા પસંદ છે. એટલે અમારે વિવિધ દેશોના કાર્યક્રમો સફળ થાય એ માટે તેમની પસંદગી મુજબનું પ્લે-લિસ્ટ બનાવવું પડે છે. અને આ બાબત કોઈ પણ કલાકાર માટે પડકારરૂપ છે. જોકે હું મારી વાત કરૂં તો મને એ વાતનો આનંદ છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ મેળવવામાં હું સફળ રહી છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here