ભારતમાં શિક્ષણને સાચા અર્થમાં જનમાનસ સુધી લઇ જવાનું કાર્ય ભારતીય શિક્ષણ મંડળ કરી રહ્યું છે – શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

0
10

ભારતીય જ્ઞાન પરંપરા જ્ઞાન અને વિજ્ઞાનથી બની છે.- શૈલેશ પટેલજી

ગુજરાત, અમદાવાદ ૨૧ એપ્રિલ ૨૦૨૫: ભારતીય શિક્ષણ મંડળની સ્થાપના સન 1969માં રામનવમીના દિવસે કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય શિક્ષણમાં ભારતીયતા લાવવાનો હતો. આજ રોજ ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ગુજરાત પ્રાંત સ્તરીય સ્થાપના દિવસની ઉજવણી ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ભારતીય શિક્ષણ મંડળ શિક્ષણના ભારતીયકરણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેના આવા તમામ પ્રયાસોની સરાહના કરતા શિક્ષણમંત્રીશ્રીએ કહ્યું હતું કે “ભારતમાં શિક્ષણને સાચા અર્થમાં જનમાનસ સુધી લઇ જવાનું કાર્ય ભા.શિ.મ. કરી રહ્યું છે તેના માટે હું સંગઠન અને તેના ઋષિતુલ્ય કાર્યકર્તાઓને વંદન કરું છુ. આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 આપી છે તેમાં પણ ભારતીય શિક્ષણ મંડળનું અમુલ્ય યોગદાન રહ્યું છે. ખરા અર્થમાં ભારતીય શિક્ષણ મંડળ ભારતીય ઈતિહાસ, માતૃભાષામાં શિક્ષણ 64 કલાઓ અને શાસ્ત્રોના અભ્યાસ દ્વારા બાળકના સર્વાંગીણ વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તેની નોંધ આજે સમગ્ર વિશ્વ લઇ રહ્યું છે. આજે વિશ્વના કેટલાય દેશોમાં ગુરુકુળ શિક્ષણ પ્રણાલી ઉપર કાર્ય શરુ કરવામાં આવ્યું છે જેનું શ્રેય પણ હું આ સંગઠનને આપું છુ.”

ભારતીય શિક્ષણ મંડળના ગુજરાત પ્રાંત અધ્યક્ષ પ્રો. વી.કે. શ્રીવાસ્તવજીએ અધ્યક્ષીય ઉદ્દબોધનમાં ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. તેમણે ભારતીય શિક્ષણ મંડળનો ગૌરવમય ઈતિહાસ સૌ સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે શિક્ષા સાથે દીક્ષા, પ્રકૃતિ સાથે સંસ્કૃતિ, ભવ્યતા સાથે સભ્યતા, ભારતીય જ્ઞાન સાથે વિજ્ઞાન અને ભારતીય જ્ઞાન સાથે અનુસંધાન જેવા પાંચ સૂત્રોમાં સંગઠનના કાર્યને સમજાવ્યું હતું.

શ્રી રામ શર્માજીએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે “ભારતીય જડોને મજબૂત કરવા તથા ભારતીય સંસ્કૃતિને શિક્ષણ સાથે જોડીને જ ખરા અર્થમા આઝાદીનો ઉત્સવ મનાવી શકાય છે. આજે ભારત પોતાના ત્યાગ, તપસ્યા અને પરિશ્રમથી જ આગળ આવ્યું છે. ભારતીય જ્ઞાન પરંપરાને સ્થાપિત કરવી એ આપણા સૌનું સહિયારું લક્ષ્ય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના સરકાર્યવાહક માનનીય શૈલેશ પટેલજીએ પોતાના વિચાર રજૂ કરતા જણાવ્યું હતું કે “

ભારતીય જ્ઞાન પરંપરા જ્ઞાન અને વિજ્ઞાનથી બની છે તેને ભારતીય શિક્ષણ મંડળ આગળ લઇ જવાનું કાર્ય કરી રહી છે. તેમણે ભારતને સુપર પાવર નહીં પરંતુ વિશ્વગુરુ બનાવવાની વાત કરી હતી. કાર્યકર્તા ભાવ અને કર્મ ઉપર સારગર્ભિત વાત તેમણે કહી હતી.

ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સહમંત્રી શ્રી સુનીલ શર્માજીએ પોતાના વિચાર રજૂ કરતા કહ્યું હતું કે “ભારતીય મૂલ્યો એ શિક્ષણનો એક ભાગ છે. આજે આપણા વિદ્યાર્થીઓ-યુવાનો સમગ્ર વિશ્વમાં પોતાની કુશળતાનો ડંકો વગાડી રહ્યા છે તેની પાછળનું કારણ ભારતમાં નૈતિક મૂલ્યોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. ભારત કેન્દ્રિત શિક્ષા વ્યવસ્થા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટેનું ઉત્તમ માધ્યમ છે. NEP તૈયાર કરવામાં ભારતીય શિક્ષણ મંડળનું અનેરું યોગદાન છે. ઉપરાંત તેમણે સંગઠનની તમામ ગતિવિધિઓ અને પ્રકલ્પોની માહિતી, કાર્યપ્રણાલી વિષે સૌને માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ, અધ્યાપકો, શોધાર્થીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય ગુરુકુળ ગતિવિધિ પ્રમુખ આચાર્ય દીપ કોઈરાલાજીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here