QS I-GAUGE દ્વારા ભારતીય શિક્ષણમાં AI અંગેનો નેશનલ સમિટ 20 અને 21 ઓગસ્ટે ગાંધીનગરમાં યોજાશે

0
10

બે દિવસીય સમિટમાં મંત્રીઓ, શૈક્ષણિક નેતાઓ, નીતિ નિર્માતાઓ, ટેક્નોલોજી નિષ્ણાતો અને શિક્ષણ ક્ષેત્રના હિતધારકો એક મંચ પર આવી જવાબદાર, સમાન અને ગુણવત્તા આધારિત AI અપનાવાને આગળ વધારવા અંગે ચર્ચા કરશે

ગાંધીનગર, ગુજરાત | ૧૭મી ઓગસ્ટ ૨૦૨૬ | ભારતની સ્વતંત્ર શૈક્ષણિક સંસ્થા રેટિંગ અને મૂલ્યાંકન પ્રણાલી QS I-GAUGE દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં 20 અને 21 ઓગસ્ટ, 2026ના રોજ પ્રતિષ્ઠિત નેશનલ સમિટ ઓન AI ઇન ઇન્ડિયન એજ્યુકેશનનું આયોજન કરવામાં આવશે. આ સમિટમાં શિક્ષણ ક્ષેત્રના અનેક મહત્વપૂર્ણ હિતધારકો એક જ મંચ પર એકત્રિત થશે.

બે દિવસીય આ લીડરશિપ સમિટનું આયોજન ધ લીલા ગાંધીનગર ખાતે કરવામાં આવશે. તેમાં ઉચ્ચ શિક્ષણ તથા K-12 શિક્ષણ ક્ષેત્રના વરિષ્ઠ નેતાઓ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો, ટેક્નોલોજી ક્ષેત્રના નેતાઓ અને ગુણવત્તા ખાતરીના નિષ્ણાતો ભાગ લેશે. કાર્યક્રમની થીમ “Advancing Responsible AI for Access, Equity, and Excellence” રાખવામાં આવી છે. સમિટમાં ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં જવાબદારીપૂર્વક AI અપનાવવા માટે જરૂરી તકો, પડકારો અને સંસ્થાકીય માળખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સમિટના પ્રથમ દિવસે માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્યકક્ષાના મંત્રી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી સંબોધન કરશે.

ભારત સરકારના IndiaAI Mission, જેને ₹10,372 કરોડના રાષ્ટ્રીય ખર્ચ સાથે સમર્થન આપવામાં આવ્યું છે, તેની મદદથી વિવિધ ક્ષેત્રોમાં AIનો સ્વીકાર સતત વધી રહ્યો છે. આથી ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યોની માંગમાં પણ વધારો થયો છે. હવે શૈક્ષણિક સંસ્થાઓએ માત્ર AI અંગે જાગૃતિ અને પ્રયોગોથી આગળ વધીને સુવ્યવસ્થિત તથા ગુણવત્તા-કેન્દ્રિત AI એકીકરણ તરફ આગળ વધવું જરૂરી બન્યું છે.

ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશાળ પાયે કાર્યરત છે. ઉચ્ચ શિક્ષણમાં લગભગ 4.46 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જ્યારે 14 લાખથી વધુ શાળાઓ આશરે 24 કરોડ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રદાન કરે છે. બીજી તરફ, ભારતનું AI બજાર 2027 સુધીમાં 17 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. આ પરિબળો વિદ્યાર્થીઓ, શિક્ષકો, ફેકલ્ટી સભ્યો અને સંસ્થાકીય નેતાઓને AI-સક્ષમ ભવિષ્ય માટે તૈયાર કરવાની વધતી જતી જરૂરિયાતને રેખાંકિત કરે છે.

સમિટ દરમિયાન યોજાનારી પેનલ ચર્ચાઓ અને લીડરશિપ રાઉન્ડટેબલ્સમાં શિક્ષણ-અધ્યાપન, અધ્યયન, મૂલ્યાંકન, સંશોધન, શાસન, ગુણવત્તા ખાતરી, રોજગારક્ષમતા અને વિદ્યાર્થીઓના કલ્યાણ પર AIની અસર જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

QS I-GAUGEના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રવિન નાયરે જણાવ્યું હતું કે, “ભારતીય શિક્ષણમાં AI અંગેનો નેશનલ સમિટ શિક્ષણ ક્ષેત્રના નેતાઓ માટે AIના જવાબદાર અને ગુણવત્તા આધારિત સ્વીકાર અંગે સામૂહિક રીતે દિશા નક્કી કરવા માટેના મંચ તરીકે કલ્પવામાં આવ્યો છે. સંસ્થાઓએ AIના ઉપયોગમાં પહોંચ, નૈતિકતા, શૈક્ષણિક અખંડિતતા, ડેટા સુરક્ષા, ફેકલ્ટીની તૈયારી અને શૈક્ષણિક ક્ષેત્ર પર થતી માપી શકાય તેવી અસર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને ધ્યાનમાં લેવા જરૂરી છે.”

પ્રથમ દિવસ (20 ઓગસ્ટ) દરમિયાન શિક્ષણ-અધ્યાપન, મૂલ્યાંકન, સંશોધન, શાસન અને વિદ્યાર્થી સહાય સહિતના ક્ષેત્રોમાં AIના ઝડપી સ્વીકારને શૈક્ષણિક સંસ્થાઓ કેવી રીતે પ્રતિસાદ આપી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કાર્યક્રમમાં પ્રોફ. ડૉ. જગદીશ એસ. જોશી, વાઇસ ચાન્સેલર, ગુજરાત યુનિવર્સિટી; પ્રોફ. ડૉ. ભરત ભાસ્કર, ડિરેક્ટર, IIM અમદાવાદ; અને શ્રી સુધીર નૈનસ્વાટી, પ્રેસિડેન્ટ, GLS યુનિવર્સિટી દ્વારા વિશેષ સંબોધન કરવામાં આવશે. આ ઉપરાંત ડૉ. અશ્વિન ફર્નાન્ડિસ, ચેર, QS India અને વાઇસ પ્રેસિડેન્ટ, QS, દ્વારા QS ચેર એડ્રેસ પણ આપવામાં આવશે.

મુખ્ય ચર્ચાઓમાં ઉચ્ચ શિક્ષણમાં AIનું લોકશાહીકરણ અને સમાન પહોંચ સુનિશ્ચિત કરવી, ખર્ચનું સંચાલન અને ડેટાની સુરક્ષા, AIના માધ્યમથી શિક્ષણને વધુ અસરકારક બનાવવું, શૈક્ષણિક અખંડિતતા અને માનવીય નિર્ણયક્ષમતાને જાળવી રાખવી તથા AI આધારિત કાર્યક્ષેત્ર માટે સ્નાતકોને તૈયાર કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થશે.

પ્રથમ દિવસના અંતે વાલેડિક્ટરી અને QS I-GAUGE એવોર્ડ સમારોહ યોજાશે. આ સમારોહમાં શૈક્ષણિક અથવા શિક્ષણ ક્ષેત્રની શ્રેષ્ઠતા માટે QS I-GAUGE દ્વારા રેટિંગ પ્રાપ્ત કરનાર 90થી વધુ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે.

બીજા દિવસ (21 ઓગસ્ટ) દરમિયાન શાળા શિક્ષણમાં AIના એકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં ખાસ કરીને બાળકો અને યુવા શીખનારાઓ પર ભાર મૂકવામાં આવશે. ચર્ચામાં AI આધારિત ગુણવત્તા ખાતરી, શાળાઓમાં ટકાઉ AI અપનાવવું, વિદ્યાર્થીઓનું કલ્યાણ, શિક્ષકોની તૈયારી, મૂલ્યાંકન પદ્ધતિમાં પરિવર્તન, વાલીઓનો વિશ્વાસ, ડેટા ગોપનીયતા અને સંસ્થાકીય AI ગવર્નન્સ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

રાઉન્ડટેબલ ચર્ચાઓમાં AI-સક્ષમ વાતાવરણમાં ભવિષ્ય માટે તૈયાર શાળાઓનું નિર્માણ અને સુરક્ષિત, નૈતિક તથા જવાબદાર AI અપનાવવા માટેની નીતિઓ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ રીતે, સમિટનો ઉદ્દેશ માત્ર AI ટૂલ્સના ઉપયોગમાં વધારો કરવા પૂરતો સીમિત ન રહેતા, સંસ્થાકીય તૈયારી, મજબૂત ગવર્નન્સ, ગુણવત્તા ખાતરી, સમાવેશી પહોંચ અને માપી શકાય તેવા શૈક્ષણિક પરિણામો તરફ ચર્ચાને આગળ વધારવાનો રહેશે.

બે દિવસની આ ચર્ચા અને સંવાદ દ્વારા QS I-GAUGEનો ઉદ્દેશ શિક્ષણ ક્ષેત્રના હિતધારકો વચ્ચે એ અંગે સહિયારી સમજ વિકસાવવાનો છે કે ભારત કેવી રીતે AIનો ઉપયોગ શૈક્ષણિક શ્રેષ્ઠતાને સક્ષમ બનાવનારા સાધન તરીકે કરી શકે અને સાથે સાથે પરિવર્તનની પ્રક્રિયામાં સમાનતા, નૈતિકતા, માનવીય નિર્ણયક્ષમતા અને વિદ્યાર્થીઓના કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી શકે.

== સમાપ્ત ==

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here